રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ અને રાજ્યસભા સાંસદ શરદ પવારે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ત્યારબાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલના એંધાણ જોવા મળી રહ્યા છે. રદ પવારે પીએમ મોદી સાથે લગભગ 50 મિનિટ સુધી ચર્ચા કરી.
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસના ગઠબંધન મહાવિકાસ આઘાડીની સરકાર છે. હાલમાં જ થયેલા કેબિનેટ વિસ્તરણ બાદથી ગઠબંધન નેતાઓની નારાજગીની ખબરો સામે આવી રહી છે.
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકારને લગભગ બે વર્ષ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019માં થઈ હતી જેમાં ભાજપને 104, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને ફાળે 43બેઠકો ગઈ હતી.
જો કે ભાજપના નેતાઓ અનેકવાર કહી ચૂક્યા છે કે પાર્ટી આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પોતાના દમ પર એકલા હાથે લડશે. તે કોઈ સાથે ગઠબંધન કરશે નહીં.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2019 ભાજપ અને શિવસેનાએ ભેગા થઈને લડી હતી. પરંતુ પરિણામ આવ્યા બાદ શિવસેના અને ભાજપમાં મુખ્યમંત્રી પદને લઈને વાંધો પડ્યો હતો. ભાજપ દેવેન્દ્ર ફડણવીસ જ્યારે શિવસેના ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માંગતી હતી. ત્યારબાદ શિવસેનાએ ભાજપનો સાથ છોડીને એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી લીધી.
0 Comments