પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકાર દાનિશ સિદ્દીકીના મોત તાલિબાને નિવેદન બહાર પાડ્યું છે.

પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકાર દાનિશ સિદ્દીકી (Journalist Danish SIDDIQUI )ના મોત બાદ તાલિબાને નિવેદન બહાર પાડ્યું છે. તાલિબાને પત્રકારના મોતમાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે અને દાનિશ સિદ્દીકીના મોત પર ખેદ વ્યક્ત કર્યો છે. શુક્રવારે સિદ્દીકી કંધારમાં અફઘાન સુરક્ષાદળો અને તાલિબાનીઓ વચ્ચે થઈ રહેલી ઝડપને કવર કરી રહ્યા હતા અને ત્યારે તેમની હત્યા થઈ. 

શું કહ્યું તાલિબાને?

અફઘાનિસ્તાનમાં ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીના નિધન બાદ તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે સીએનએન-ન્યૂઝ18ને કહ્યું કે અમને નથી ખબર કે ફાયરિંગ દરમિયાન પત્રકારને કોની ગોળી વાગી અને કેવી રીતે તેનું મોત થયું. અમને ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીના મોત પર ખેદ છે. 

આ સાથે જ તાલિબાને કવરેજ માટે આવનારા પત્રકારોને સલાહ પણ આપી. મુજાહિદે કહ્યું કે યુદ્ધ ક્ષેત્ર(war zone) માં પ્રવેશ કરનારા કોઈ પણ પત્રકારે અમને જાણ કરવી જોઈએ. તેનાથી અમે તે વ્યક્તિની યોગ્ય દેખભાળ કરીશું. અમને ખેદ છે કે પત્રકાર અમને સૂચના આપ્યા વગર વોર ઝોનમાં પ્રવેશ કરી રહ્યા છે.

રેડ ક્રોસને સોંપાયો મૃતદેહ

સમાચાર એજન્સી રોયટર્સ સાથે કામ કરતા દાનિશનો મૃતદેહ રેડક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ (ICRC)ને સોંપી દેવાયો છે. તેમનો મૃતદેહ હવે ભારત લાવવાની તૈયારી થઈ રહી છે.

અત્રે જણાવવાનું કે ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકી કંધારના સ્પિન બોલ્ડક જિલ્લામાં ઝડપને કવર કરી રહ્યા હતા. કારણ કે તાલિબાને પાકિસ્તાન સાથેની પ્રમુખ સરહદ પાર કરી લીધી હતી. અહીં રાતભર ચાલેલી ભીષણ લડાઈમાં ઘાયલ થયેલા અનેક તાલિબાનીઓનો પાકિસ્તાનની એક હોસ્પિટલમાં ઈલાજ ચાલે છે. વોરઝોનની નજીક રહેતા મોહમ્મદ ઝહીરે જણાવ્યું કે તાલિબાનીઓ અને સેના વચ્ચે શહેરના મુખ્ય બજારમાં ભીષણ ફાયરિંગ ચાલુ હતું. સરહદ પારનો આ વિસ્તાર પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંત સુધી સીધો પહોંચાડે છે. જ્યાં તાલિબાનનું ટોચનું નેતૃત્વ દાયકાઓથી કબજો જમાવી બેઠા છે.

Post a Comment

0 Comments