દ્વારકાના કલ્યાણપુરમાં પોલીસે એક સગીરની ગેરકાયદે અટકાયત કરી ઢોર માર માર્યો, કોર્ટે પોલીસ સામે તપાસના આદેશ આપ્યા


   •બાળ અદાલતમાં ભોગ બનનારે PSI સહિત ત્રણ કોન્સ્ટેબલને ઓળખી બતાવ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની કામગીરીને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. કથિત દારૂની રેઈડ મામલે પોલીસે એક સગીરને ગેરકાયદે અટકાયતમાં રાખી ઢોર માર મારતા કોર્ટે પોલીસ સામે તપાસના આદેશ આપ્યા છે.
એક સપ્તાહ પૂર્વે કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં પીએસઆઈ ગગનીય અને તેની ટીમે પ્રોહિબિશન સબબ કાર્યવાહી કરી હતી. ભોગ બનનારના પરિવારજનોનો આરોપ છે કે, પોલીસ સગીરને ઘરેથી ઉઠાવી ગઈ હતી અને પોલીસ સ્ટેશનમાં બે દિવસ ગોંધી રાખી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. બાદમાં કિશોરને છોડી મુકાતા તેના પરિવારજનો કોર્ટમાં ગયા હતા. જ્યાં ભોગ બનનારે પોતાની આપવીતી જણાવી પોતાના પર પોલીસે ગુજારેલા ત્રાસના પુરાવા બતાવ્યા હતા. કોર્ટમાં જ ભોગ બનનારે પીએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલને ઓળખી બતાવતા કોર્ટે પોલીસ સામે તપાસના આદેશ આપ્યા હતા.

ડીવાયએસપી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ
પોલીસ જ આરોપી બની જતા કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. જેને લઈને ડીવાયએસપી ચોધરી અને તેની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ડીવાયએસપી ચૌધરીએ કહ્યું હતું કે, હા આ બાબત ગંભીર ગણી શકાય, હાલ તપાસ શરુ કરી દેવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસની કાર્યવાહી અને ભોગ બનનારના આરોપ અંગેની સત્યતા સામે આવશે.

મારા દીકરાને ખોટી રીતે ફીટ કરી દેવાયો-ભોગ બનનારના પિતા
ભોગ બનનાર કિશોરના પિતાએ જણાવ્યું હતું કે, મારા છોકરાનું ધોરણ 12નું પેપર હતું. પોલીસને અરજ કરી હોવા છતા તેને મુક્ત કર્યો ના હતો.મારા દીકરાને ખોટી રીતે ફીટ કરી દેવામા આવ્યો છે. અમે કોર્ટમાં ફરિયાદ કરી છે, કોર્ટે તપાસના આદેશ આપ્યા છે.

Post a Comment

0 Comments